રાજકોટ જિલ્લા સ્થિત સર ગામના સીમાડામાં શંખેશ્વર ગિરનાર તીર્થનો છરી પાલિત સંઘ આવી પહોંચતા ગ્રામ્યજનોએ અક્ષતથી વધામણાં કરીને ભાવભીનું સ્વાગત કર્યું હતું. રસ્તામાં આવતી સ્કૂલોમાં 4 જ્ગ્યાએ સરસ્વતી માતાની પ્રતિષ્ઠા કરાઇ હતી. સૌરાષ્ટ્રમાં પ્રેમ, લાગણી અને ભક્તિની ભાગીરથી ખળખળ વહી રહી છે. ઓટલો અને રોટલોએ સૌરાષ્ટ્રની આગવી ઓળખ છે. સંતો માટે તો સૌરાષ્ટ્ર સર્યુ નદીની ગ૨જ સારે છે. આવકાર અને ઔચિત્ય સૌરાષ્ટ્રની ગુડવિલ છે એ પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજય મહારાજે જણાવ્યું હતું.
ભીષ્મતપસ્વી જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજાની અખંડ આયંબિલ તપની સુંદર આરાધના 28 વર્ષથી ચાલી રહી છે. તેઓ આજીવન આયંબિલના તપસ્વી છે. જૈન ધર્મમાં આટલા મોટા તપસ્વી કોઈ નથી. વિશ્વમાં શાંતિ અને સમાધિની પ્રાપ્તિ થાય તેમજ જૈનધર્મમાં મૈત્રી, વાત્સલ્ય અને સ્નેહની વૃદ્ધિ થાય એ માટે આચાર્ય આવો ભીષ્મ તપ કરી રહ્યા છે. તેઓની પાવન નિશ્રામાં શંખેશ્વર તીર્થથી ગિરનાર તીર્થનો છરી પાલિત સંઘ પદયાત્રા દ્વારા નીકવ્યો છે. આ સંઘમાં 350 થી વધુ શ્રાવક-શ્રાવિકો જોડાયા છે. 70 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતો જોડાયા છે.
નિત્ય પ્રભુભક્તિ, સત્સંગ, જીવદયા, માનવતા, અનુકંપા વગેરે કાર્યક્રમો ચાલી રહ્યા છે. પ્રત્યેક ગામડાની સ્કૂલોમાં સરસ્વતી માતાની પ્રતિષ્ઠા, બાળકો સમક્ષ પ્રવચન, પ્રસાદી વિતરણ, ગેટ બાંધી આપવા, ચબૂતરો બાંધવા વગેરે કાર્યક્રમો તેમની નિશ્રામાં યોજાઈ રહ્યા છે. પૈસા, પ્રયાસ, પુણ્ય કરતાં પ્રાર્થનાની પ્રચંડ તાકાત છે અને દિલથી કરી તો શીઘ્ર ફળે છે.