જસદણના લોકોને સામાકાંઠે જવામાં ઉપયોગી એવા પુલનું તાજેતરમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે પુલ તૈયાર થઇ જતાં લોકોને વિકાસના મીઠાં ફળ ચાખવા મળશે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ ખાતે રૂ.230 લાખના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું.પોલારપર મેઈન રોડ હૂડકો વિસ્તારમા રૂ.230 લાખના ખર્ચે પુલનું નિર્માણ થશે. આ પુલ બનવાથી સામા કાંઠા તેમજ આસપાસના ગામોમાં આવવા જવા માટે લોકોને સરળતા રહેશે તેમ જણાવી મંત્રીએ જણાવ્યું હતું કે, "નાગરિકોની સુખાકારી વધારવી એ જ રાજ્ય સરકારનો વિકાસમંત્ર છે". જસદણ-વિંછીયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, આવનારા દિવસોમા રમતગમતનું મેદાન, કોલેજ, ભૂગર્ભ ગટર, પાકા રસ્તા, ચેકડેમ સહિતના કામો હાથ ધરાશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. આ તકે માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર પટેલે રૂ.230 લાખના ખર્ચે બનનારા પુલની ટેકનિકલ બાબતો સહિતની માહિતી આપી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખે પુલ બનવાથી શહેરની શોભા વધવાની સાથે વિકાસને વેગ મળશે તેમ કહ્યું હતું. ઉપરાંત સ્થાનિક કાળુભાઈએ લોકોને સામા કાંઠે આવવા-જવામાં સરળતા રહેશે તેમ કહ્યુ હતુ. આ તકે નિમેષભાઈ, ભરતભાઈ, ગટુરભાઈ, મનિષાબેન તેમજ મામલતદાર સહિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.