WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વીંછિયા પંથકમાં 27 કરોડના ખર્ચે બનશે આધુનિક હોસ્પિટલ | દર્દીઓને જસદણ સુધીના ધક્કા બચશે

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે વિંછીયાના લાલાવદર ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, વીંછિયા પંથકમાં 27 કરોડના ખર્ચે આધુનિક સગવડયુક્ત નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. આ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આગામી ટૂંક સમયમાં આ સુવિધાનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે.
વધુમાં બાવળીયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, આશરે રૂ.27.28 લાખના ખર્ચે તૈયાર થનારા આ પેટા આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સ્તરની તમામ આરોગ્ય સારવાર મળશે. આ તકે વીંછિયા તાલુકામાં આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે કહ્યું હતું કે, જસદણ તથા વીંછિયાના લોકોને ડાયાલીસીસ માટે રાજકોટ જવું ન પડે તે માટે, જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડાયાલિસિસની સુવિધા શરૂ કરાઇ છે. 

ઉપરાંત અમરાપુરમાં પણ આ સુવિધા શરૂ થઈ ગઈ છે. આ તકે તેમણે દેવપરાના પાટીયા નજીક રૂ.27 કરોડના ખર્ચે નવી આધુનિક મોટી હોસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી હતી. વધુમાં વીંછિયા તથા જસદણ તાલુકાના મોટાભાગના ગામોમાં દવાખાના કે સામુહિક આરોગ્ય કેન્દ્ર થકી આરોગ્યલક્ષી સુવિધા ઊભી કરાઇ છે. આ બન્ને તાલુકામાં આરોગ્ય કર્મચારીઓમાં મોટાભાગનો સ્ટાફ પણ સ્થાનિક હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સિંઘે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં મંત્રી કુંવરજીભાઈના પ્રયાસો થકી ટૂંકા ગાળામાં નવા ચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત વીંછિયા તાલુકામાં 20 તેમજ જસદણ તાલુકામાં 20 મળીને 40 જેટલા નવા પેટા આરોગ્ય કેન્દ્રો બની ચૂક્યા છે. 

તેમણે આયુષ્યમાન ભારત તેમજ આભા કાર્ડ અંગેની વિગતો પણ લોકોને આપી હતી. તેમજ લોકોને વ્યસનથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં વિંછીયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજા ખાંભલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ દેવાભાઈ ગઢાદરા, તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર, ઈન્ચાર્જ તાલુકા મામલતદાર ડી.જી.આચાર્ય, લાલાવદર ગામના સરપંચ ભોળાભાઈ મેટાળીયા, તાલુકા પંચાયતના સદસ્યો, આસપાસના ગામોના સરપંચો, અન્ય સામાજિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

વીંછિયાના લાલાવદદમાં રૂ.27.28 લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રમાં એક્ઝામિન રૂમ, વેઇટિંગ એરીયા, લેબર રૂમ, ટોયલેટ તેમજ રહેઠાણ વિભાગમાં લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, બાથરૂમ, ટોયલેટ જેવી સુવિધાઓ બનાવવામાં આવશે. જેથી દુરથી આવતા દર્દીઓને કોઇ જ પ્રકારની અસુવિધા નહીં થાય.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો