ગઢડા પંથકના વીડ વિસ્તારમાં ફરી ડાલામથ્થા ના આંટાફેરા વધ્યાં છે. અવાર નવાર પશુઓના મારણના બનાવો પણ બનતાં હોઇ ખેડૂતો અને માલધારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. ગત એક સપ્તાહમાં ઇતરીયા, ઘોઘા સમડી, ઇંગોરાળા પંથકમાં પંજાના નિશાન (સગડ) મળ્યાં છે.
ઘોધા સમડી તથા ઇંગોરાળઆમાં એક વાછરડી અને એક પાડીનું મારણ કરતાં ફોરેસ્ટના અધિકારીઓ તરફથી સિંહના અવરજવરવાળા વિસ્તારોમાં સાવધાનીના બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે. ગઢડા(સ્વામીના ) પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સિંહના આંટાફેરા શરૂ રહેતા વાડી વિસ્તારમાં અને પશુ પાલકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અગાઉ બાળ સિંહનો મૃતદેહ મળ્યો હતો ગઢડા નજીકના વીડ વિસ્તારમાં અગાઉ પણ એક બાળ સિંહનું ખુલ્લા કૂવામાં પડવાથી મોત નીપજ્યું હતું. તે સમયે અન્ય સિંહ આસપાસ હોવાની આશંકા હતી. તે દરમિયાન ફરી સિંહના સગડ મળતાં ખેડૂતોમાં ભય ફેલાયો છે.