- શેઢે પાણી વાળી રહેલા બે દિકરા દેકારો સાંભળી આવ્યા ત્યારે પિતા ભાગી ગયોઃ
Reporter: Rajesh Limbasiya
જસદણ તાલુકાના ભાડલા પોલીસ મથક હેઠળના રણજીતગઢ ગામે વાડીએ નશાખોર પતિએ પત્નિને લાકડીથી બેફામ ફટકારી તેમજ તેણીએ કાનમાં પહેરેલુ ઘરેણું ખેંચીને કાન ચીરી નાંખી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેણીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, જસદણના ભાડલા તાબેના રણજીતગઢ ગામે અશ્વીનભાઈની વાડીમાં એકાદ મહિનાથી ભાગીયા તરીકે રહેવા આવેલા મધ્યપ્રદેશના ભુરીબેન ધનસીંગ ડાવર (ઉ.વ.45) ને ગત રાતે બે વાગ્યે તેના પતિ ધનસિંગે લાકડીથી બેફામ મારકુટ કરી તેણીના કાનમાં પહેરેલું ઘરેણું ખેંચીને કાન ચીરી નાંખતા ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડે ભાડલા પોલીસને જાણ કરી હતી.
આ બનાવમાં મૃત્યુ પામનાર ભુરીબેનને સંતાનમાં બે પુત્રો છે. આ બનાવ અંગે મૃતકના પુત્રોએ જણાવ્યું હતું કે, રાતે માતા અને પિતા વચ્ચે કોઇ બાબતે માથાકુટ થઇ હતી. એ વખતે પોતે બન્ને ભાઇઓ વાડીના શેઢે પાણી વાળી રહ્યા હતાં. ત્યારે માતાની ચીસો સાંભળીને પોતે રૂમ પર દોડી આવ્યા. ત્યારે પોતાની માતાને તેનો પિતા મારકુટ કરતો દેખાયો હતો. એ પછી તે ભાગી ગયો હતો. માતાના કાનમાં પહેરેલુ ઘરેણું ખેંચાતા તેનો કાન પણ ચિરાઇ ગયો હતો. તેમજ મોઢા માથા પર પણ ઇજાઓ પહોંચી હતી. કદાચ લાકડીના ફટકા માર્યા હોય તેવુ લાગતું હતું. અમે બાદમાં વાડી માલિકને જાણ કરી હતી અને જસદણ સારવાર અપાવી માતાને રાજકોટ ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન ભુરીબેને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં ભાડલા પોલીસે દારૂડીયા પતિને સકંજામાં લીધો હતો અને તેણે નશાની હાલતમાં કોઇ કારણે ઝઘડો કરી પત્નિને મારકુટ કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. આ હત્યાના બનાવમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ભાડલા પોલીસ આગળની કાર્યવાહી કરશે.
Reporter: Rajesh Limbasiya