રાજકોટ જિલ્લાના વિંછીયામાં આજે સોમવારે પોલીસે હત્યા કેસના 6 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન સ્થાનિકોએ હત્યાના આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢવાની માગ કરી હતી.
જેમાં પોલીસે કાયદા મુજબ કામ થયા અને કાયદા વિરુદ્ધ કંઈ નહીં થાય તેવું કહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ત્યારબાદ ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
સમગ્ર મામલે પોલીસે 52 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકર સિંહના જણાવ્યા અનુસાર, 'આ ઘટનામાં કુલ 52 લોકોની અટકાયત કરવામાં આવી છે.
હુમલામાં ત્રણ પોલીસકર્મીઓને સામાન્ય ઈજા પહોંચી. બે કલાક બાદ સ્થિતિ કાબુમાં આવી હતી. અમે હળવા બળનો ઉપયોગ કર્યો.
દસ ટીયર ગેસના શેલ ફેંક્યા અને લાઠીચાર્જ કર્યો. આ તમામ સામે FIR દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, 'અમે હત્યા કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
આજે સોમવારે સવારે અમે ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ફરીથી ક્રાઈમ સીન પર લઈ ગયા હતા. ત્યારબાદ મૃતકના સમુદાયના લોકો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા અને આરોપીને શહેરમાં લઈ જવાની માગ કરવા લાગ્યા હતા.
જે સંપૂર્ણપણે ગેરકાયદેસર માંગણી હતી. પોલીસે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સંમત ન થયા અને કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.