લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મામલે વીંછિયાના થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર કેટલાક શખસોએ કુહાડી અને લાકડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો.
આ હુમલા બાદ તેમને વીંછિયા અને ત્યાર પછી રાજકોટ સારવારમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો, ત્યારે આ મામલે પોલીસે 7 શખસની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા આજે 7 આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જોકે વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માગ હતી, પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થયા, કાયદા વિરુદ્ધ કંઇ થશે નહીં.
જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા, ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં બે પોલીસકર્મીને સામાન્ય ઇજા પહોંચી હતી.
એ બાદ ટોળા પર કાબૂ મેળવવા પોલીસ દ્વારા ટિયરગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો
વિંછીયાના થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી.
એનો ખાર રાખી સાત દિવસ પહેલાં કુહાળી અને લાકડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.
એ બનાવ બાદ વીંછિયા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય.
બીજી માગણીઓ સહિત કોળી સમાજના લોકો ધરણાં પર બેસી ગયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ ઉપરાંત કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી, આરોપીએ સરકારી જગ્યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માગણી કરી હતી.
જોકે કલેક્ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની માગણી પૂરી થશે એવી ખાતરી આપતાં મૃતક ઘનશ્યામભાઈ રાજપરાના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર્યો હતો અને થોરિયાળી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અગ્નિસંસ્કાર કર્યા હતા.
આ દરમિયાન હત્યાના મુખ્ય આરોપી શેખા ગભરુભાઇ સાંબડને ઝડપી લેવા રૂરલ એલસીબી, રૂરલ એસઓજી તથા વીંછિયા પોલીસની અલગ-અલગ ટીમો બનાવાઇ હતી.
જેમાં હત્યાનો મુખ્ય આરોપી શેખાભાઈ સાંબડ ચોટીલા પંથકમાં હોવાની બાતમી મળતાં તેને દબોચી લીધો હતો.
આ મામલે પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે.