જસદણના આટકોટ રોડ બાયપાસ સર્કલ પરના ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ: જયેશ કલ્યાણી
જસદણ શહેરના આટકોટ રોડ બાયપાસ સર્કલ આસપાસ ઠેરઠેર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ખાડાઓ અકસ્માતનું કારણ બની રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે એમ સામાજિક કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણી એ જણાવ્યું હતું તેમનાં જણાવ્યાં મુજબ
આટકોટ રોડ બાયપાસ સર્કલ જસદણ માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે, જ્યાંથી રોજેરોજ હજારો વાહનો પસાર થાય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ રોડ પરના ખાડાઓની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. નાના-મોટા વાહનચાલકોને આ ખાડાઓના કારણે વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય અનેકગણો વધી જાય છે.
સ્થાનિક વાહનચાલકો દ્વારા જસદણ નગરપાલિકા તંત્રને આ મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમની મુખ્ય માંગણી છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ રોડ પરના ખાડાઓને બુરવાની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી વાહનચાલકો અને રાહદારીઓ સુરક્ષિત રીતે પસાર થઈ શકે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ભવિષ્યમાં મોટા અકસ્માતો થવાની સંભાવના છે. જેથી જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે તેવી માંગ જસદણના સામાજિક કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણીએ ઉઠાવી છે.