રામપુરા સહિત પંથકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો; ખેતરોમાં પાણી ભરાયાં
- વાવેતર કરેલા એરંડામાં પાણી ફરી વળતાં ખેતીને નુકસાન: મેઘરાજાને ખમૈયા કરવા વિનવણી
રામપુરા સહિત પંથકમાં ગુરુવારના રોજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાતા મેઘરાજાની બીજી ઈનિંગ શરૂ થતા સતત એક કલાકથી વધુ સમય સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. એક ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. નિચાણવાળા રહેણાક વિસ્તારોમા પાણી ભરાયા છે. તાજેતરમાં એરંડા સહિત પાક વાવેતર કર્યું હોય તેવા બિયારણો આ ભારે વરસાદના કારણે એળે જાય તો નવાઈ નહીં તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
છેલ્લા બે ત્રણ દિવસથી વરાપ નીકળતા ખેડૂતો ખેતરોમાં વાવણી કાર્યમાં જોડાયા હતા. ત્યાં ગુરૂવારના રોજ સવારના સમયે વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની બીજી ઈનિંગની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આ વરસાદને પંથક ના ખેડૂતો મેઘ મહેર નહી પણ મેઘ કહેર કહી રહ્યા છે.
તાજેતરમાં કરેલા વાવેતરનું મોટાભાગનું બિયારણ ધોવાઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવી પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ વિરામ લે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંક દિવસોથી અવારનવાર આ રીતે મેઘ મહેર ચાલુ રહી છે ત્યારે ગુરુવારે પણ આ પંથકમાં એક ઈંચથી વધુ વરસાદ થતા કિસાનોમાં રાહત જોવા મળે છે પણ હવે મેઘરાજા ખમૈયા કરે તો ખેતીને થનારુ નુકસાન અટકી શકે તેમ છે તેવુ અનેક ખેડૂતો માની રહયા છે