તરણેતરના મેળાનો થનગનાટ:ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવવામાં આવતી 52 ગજની ધજાને 10 લોકોની ટીમ દ્વારા 25થી 27 દિવસની મહેનતથી તૈયાર કરાઈ
ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે.
ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ઋષિપાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત શ્રી દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે.
વર્ષ 1990થી સતત અત્યાર સુધી 34મી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટલ પાસે આવેલી પેનો રામા ટ્રેઈલર્સ (તરણેતરની ધજાવાળા) તૈયાર થાય છે. આ ધજા પ્રફુલભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિ:શુલ્ક અર્પણ કરવામાં આવે છે.
ધજા તૈયાર કરનાર પ્રફુલભાઈના દીકરા કેયુરભાઈએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 1971માં મારા પિતા ત્રણ મિત્રો સાથે તરણેતરના મેળામાં ગયા હતા. એ સમયે મેળામાં ભયંકર વરસાદના કારણે પુર આવતાં મારા પિતાએ વરસાદ બંધ થાય તો ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા અર્પણ કરશે એવો સંકલ્પ કર્યો હતો.
પિતાનો આ સંકલ્પ વર્ષ 1990માં પૂર્ણ થયો. વર્ષ 1990માં પિતા ધજા તૈયાર કરીને પાળીયાદ ખાતે મહંત શ્રી અમરાબાપુને મળી સંકલ્પ અંગેની વાત કરી.
મહંતે પિતાની વાતનો સહર્ષ સ્વીકાર કરી ઋષિ પંચમીના દિવસે અમારા પરિવાર દ્વારા તૈયાર કરાયેલી ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવવામાં આવી.
ધજા તૈયાર કરવા અંગેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 8થી 10 લોકોની ટીમ દ્વારા સતત 25થી 27 દિવસ સુધી મહેનત કરીને ધજા બનાવવામાં આવે છે. મારા મોટા બહેન રામેશ્વરીબેન વ્યવસાયે આર્કિટેક એન્જિનિયર છે. જે અમને ધજાના નુમના બનાવીને આપે છે.
ત્યારબાદ અમારી ટીમ દ્વારા ધજા તૈયાર કરવામાં આવે છે.અમે અત્યાર સુધીમાં નંદી, ઓમ, હર હર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ, ત્રિશુલ, હેન્ડ વર્કમાં ઓમ નમઃ શિવાય સહિતની વિવિધ થીમો પર ધજા બનાવી ચૂક્યા છીએ.આ વર્ષે અમારી ટીમ દ્વારા કેસરી કાપડમાં ચંપા ફૂલની ડિઝાઇનમાં વાદળી રંગમાં ઓમની ધજા તૈયાર કરવામાં આવી છે.
આ ઉપરાંત કેયુરભાઈ દ્વારા સોમનાથ, દ્વારકા, કબરાઉ, ભોળાદ, ભાયલા, મુળી માંડવરાયજી મંદિર સહિતના વિવિધ તીર્થ સ્થાનોમાં ધજા તૈયાર કરીને આપવામાં આવી છે.વધુમાં તેઓ 20 વર્ષથી હનુમાન જયંતી, ચૈત્ર સુદ પૂનમના દિવસે રણમાં વાછડાદાદાના મંદિરે પણ નિઃશુલ્ક ધજા આપે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,અમારા પરિવાર દ્વારા તરણેતર ધજા અર્પણ કરાતી હોવાથી જિલ્લાવાસીઓ અમને “તરણેતરની ધજાવાળા” તરીકે ઓળખે છે.અમારા દ્વારા તૈયાર કરાયેલી ધજા ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડે છે એ અમારા માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે.