બોટાદ સીટી વિસ્તારમાંથી એક પીડિત મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ અને સાસુના ત્રાસથી આત્મહત્યા કરવી છે.
એવી માહિતી મળતાં જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા કોન્સ્ટેબલ, આલ ગીતાબેન તેમજ પાયલોટ હરેશભાઈ ઘટના સ્થળે મહિલાની મદદ માટે રવાના થયા હતા અને રસ્તામાં 181 ટીમ દ્વારા મહિલાને ફોન કરી અને સતત ફોનમાં વાતચીત શરૂ રાખેલ હતી.
ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી મહિલાને રૂબરૂ 181 ની ટીમ મળીને વાતચીત કરતા કાઉન્સેલિંગ દરમિયાન મારે મરી જવું છે એવા શબ્દો બોલતા હતા અને રડતા હતા.
જેથી 181 ટીમ દ્વારા શાંતિપૂર્વક વાતચીત કરી આશ્વાસન આપી વિશ્વાસમાં લઈ આપઘાતના પ્રયાસ અંગે પૂછતા પીડિત મહિલાએ પોતાના પર વીતી રહેલી વિગત જણાવતા કહેલ કે તેના પતિ વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય છે, ઘરખર્ચ માટે પૈસા આપતા નથી તેમજ સાસુ ઘરકામ બાબતે વારંવાર બોલતા હોય છે.
તેઓના વચ્ચે ત્રણ દિવસથી ઝઘડા થતા હતા. આજ રસોઈ બનાવવા બાબતે થઈને સાસુ-વહુનો ઝઘડો થયો હતો.
આ વાત મહિલાએ તેના પિયરમાં જણાવી હતી તો તેમના દ્વારા જણાવ્યું કે સાસરીમાં બધું સહન કરવું પડે.
મહિલાને બન્ને પરિવાર તરફથી સાથ-સહકાર ન મળતા દુઃખી થઈ અને આત્મહત્યાનો વિચાર કર્યો હતો અને ગળો ફાંસો ખાવા દુપટ્ટો લઈને ઘરનો દરબાજો બંધ કરી રૂમમાં પુરાઈ ગયા હતા.
181 ટીમે મહિલાને સમજાવ્યું કે મરી જવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી અને તેના પતિને લગ્ન જીવનમાં આવતી ફરજો વિશે સમજ કરી હતી તેમના સાસુને સમજાવી મહિલાના પતિએ તેની ભૂલ સ્વીકાર કરી માફી માંગી હતી
અને હવે પછી તેની પત્નીને હેરાન નહીં કરે તેવી બાંહેધરી આપતા, બંને પતિ-પત્ની અને સાસુ-વહુ વચ્ચે થયેલા ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું હતું અને મહિલાએ રાજીખુશીથી પોતાના પતિ સાથે રહેવાનું નક્કી કર્યુ હતું.