રાજકોટ શહેરના અજમેરા શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતાં BSNLના નિવૃત કર્મીએ જસદણમાં આવેલો પ્લોટ તેમની બહેનને રહેવા માટે આપેલો હતો. જે બાદ ભાણેજે આ પ્લોટ પર ગેરકાયદેસર ઓરડીઓ ચણી ભાડે આપી કબ્જો કરી લેતાં જસદણ પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
રાજકોટમાં અજમેરા શાસ્ત્રીનગરમાં રહેતાં મૂળ જસદણના વતની દેવજીભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.68)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેમના ભાણેજ રમેશ કરશન ચૌહાણનું નામ આપતાં જસદણ પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ ગોંડલ ડીવાયએસપી દ્વારા કરવામાં આવી રહી છે.
પ્લોટ બહેનને રહેવા માટે આપ્યો હતો
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉ BSNLમાં સબ ડીવીઝનલ એન્જિનિયર તરીકે નોકરી કરતાં હતાં. હાલ તેઓ નિવુત જીવન ગાળે છે. તેઓને સંતાનમાં બે દીકરા તથા બે દીકરીઓ છે.
તેમની પાસે જસદણ ગામના સર્વે નંબર 1194ની હે.આરે.ચો.મી. 0-26-30ની ખેતીની જમીન લાખાભાઇ પરમાર, જયંતિભાઇ પરમાર, મગનભાઈ માણસુરભાઈ પરમારના સંયુકત ખાતામાં આવી છે. આ જમીન ઓછી હોય જેથી ખેતીકામ કરતા ના હતા અને જમીનમાં પ્લોટિંગ પાડેલ જેમાં કુલ 20 પ્લોટ પાડેલ હતા.
જેમાં પ્લોટ નં.14નો તેઓએ તેમની બહેન ડાહીબેન કરશનભાઈ ચૌહાણને રહેવા માટે આપ્યો હતો.
ભાણેજે પ્લોટ પચાવી ગેરકાયદેસર ઓરડી બનાવી બીજાને ભાડે આપ્યો
ત્યારબાદ ભાણેજ રમેશ ચૌહાણ પણ ત્યા રહેવા આવ્યો હતો. વર્ષ 2019માં તેઓના જસદણ રહેતાં ભાઇઓએ જણાવેલ કે, આપણા ભાણેજ રમેશ ચૌહાણએ પ્લોટ નંબર-15માં કબ્જો કરી લીધેલ છે. જેથી તેઓ જસદણ આવ્યા હતા. તેઓને પ્લોટ ખાલી કરવા માટે કહ્યું હતુ. ત્યારે રમેશે તેઓ અને તેમના ભાઇઓને ગાળો આપી અને મારી નાખવાની ધમકી આપેલ હતી.
ત્યારબાદ અવારનવાર કહેવા છતા આરોપીએ પ્લોટ નંબર-15 જે ખુલ્લો હતો. તેમાં બાંધકામ કરીને બે ઓરડી બનાવી અને અન્ય લોકોને ભાડેથી આપી દઈને ભાડુ પણ લેવાં લાગ્યો હતો. જે બાદ તેઓએ કલેક્ટરમાં અરજી આપતાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધવાનો હુકમ થતાં આરોપીએ રૂ.4.17 લાખનો પચાવી પાડયાની ફરીયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.