જસદણમાં સાચવવા આપેલા રૂ.3 લાખ પરત ન આપતા જસદણમાં રહેતા ફરિયાદી મોહનભાઈ રાદડીયાએ શિવરાજપુરના દિનેશ રાદડીયા અને ચાંપરાજ મોડા સામે ગુનો નોંધાવ્યો છે.
મોહનભાઈ ભાદાભાઈ રાદડીયા (ઉ.વ.54) (રહે. જસદણ, અંબીકાનગર ગીતાનગરની પાછળ)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહું છું અને ખેતીકામ કરું છુ. મારે સંતાનમાં બે દિકરા છે જેઓ હાલે સુરત તથા વડોદરા ખાતે વેપાર ધંધો કરે છે.
ગત તા.8/5/2024 ના રોજ હું તથા રમેશભાઈ રામજીભાઇ રાદડીયા, ભીમજીભાઈ રામજીભાઇ રાદડીયા, મહેશભાઈ ભીમજીભાઇ રાદડીયા, હરજીભાઈ અરજણભાઈ રૂપારેલીયા, દિનેશભાઈ શંભુભાઈ રાદડીયા, ધનજીભાઈ નાગજીભાઈ વઘાસીયા (રહે. વિરનગર) જસદણ નટરાજ કોમ્પેલક્ષમાં વકીલની ઓફીસે હતા.
અહીં ધનજીભાઈ વઘાસીયા પાસેથી જમીનમાં આવેલ કૂવા તથા પાઇપ લાઇન બાબતના 5 લાખ 50 હજાર રૂપીયા લેવાના હતા તે બાબતનું નોટરી લખાણ કરવાનું હતું.
લખાણ થઈ ગયા બાદ 5 લાખ ધનજીભાઈએ મને આપતા મેં કહયું કે, મારા મિત્ર દિનેશભાઇ શંભુભાઇ રાદડીયાને આપી દો અને દિનેશભાઈના હાથમાં રૂપીયા આપ્યા હતા. દિનેશભાઇએ કહ્યં કે, આ રૂપિયા મારી પાસે છે તમને જોતા હોય ત્યારે લઇ જજો.
બે દિવસ બાદ દિનેશભાઈ પાસે પૈસા લેવા માટે ગયા. તેણે મને બે લાખ આપ્યા. બાકીના 3 લાખની જરૂર પડતા દિનેશભાઈ પાસે મેં માગ્યા તો મને એવો જવાબ મળ્યો કે પછી આપી દઇશ અને પછી એ પૈસા મને મળ્યા જ નહીં. તે સમય દરમ્યાન ચાંપરાજ અનકભાઈ મોડા વચ્ચે પડતા તેમણે વધુ એક મુદત નાખી હતી છતાં પૈસા ન આપતાં અંતે ફરિયાદ નોંધાવવી પડી છે. આ ફરિયાદ પરથી પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.