વિંછીયાના ઢેઢુકી ગામે ભુવા વિશે ચર્ચા કરતાં ૬૫ વર્ષીય ચકુભાઈ સાંકળીયા પર ૭ શખ્સો દ્વારા ધારીયા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો.
આ ઘટનામાં તેમના પુત્ર અને પત્નીને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ચકુભાઈ સાંકળીયા તેમના વાડીના મકાનમાં સૂતા હતા ત્યારે વિશાલ સામંતભાઈ મેણીયા (દેવપરા, ચોટીલા) અને અન્ય ૬ અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી તેમને નિશાન બનાવ્યા.
આ શખ્સોએ "કયાં છે ભુવા?" તેમ કહી આરોપ મુક્યો કે ચકુભાઈએ છેડતી કરી છે. ત્યારબાદ ધારીયા અને છરી વડે હુમલો કર્યો. ઘાયલ ચકુભાઈને પહેલા જસદણ અને પછી રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
ચકુભાઈના પુત્ર ધનજીને બચાવવા જતા શખ્સોએ માર માર્યો હતો અને તેમના પત્નીની સાડી ખેંચીને ઝપાઝપી કરી હતી.
ઘટનાના ૨૦ દિવસ પહેલા, વિશાલના ભાઈ અને ભાભી દાણા જોવા માટે ચકુભાઈના ઘરે આવ્યા હતા. ચકુભાઈએ દાણા જોવાનું બંધ કર્યાનું કહી તેમને દાદાની માનતા કરવાનો જવાબ આપ્યો હતો.
વિશાલના ભાઈએ પત્ની સાથે છેડતી કરવાનો આરોપ મૂકી ખાર રાખ્યો હતો, જે કારણે આ હુમલો કરાયો હોવાની ચર્ચા છે.
વિશાલની ભાભીએ ચકુભાઈ સામે દાણા જોવાના બહાને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી છે. વિંછીયા પોલીસે અંધશ્રદ્ધા કાયદા અને છેડતીની કલમ હેઠળ ગુનાહિત કેસ દાખલ કર્યો છે.
વિંછીયા પોલીસે ચકુભાઈની ફરીયાદ પર વિશાલ સહિત ૭ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં આ મામલે બંને પક્ષોની ફરીયાદના આધારે તપાસ ચાલી રહી છે.