જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી અને જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, અમરેલીના લેટરકાંડમાં એક દિકરી નિર્દોષ હોવા છતાં કાયદાની જોગવાઇની વિરૂધ્ધ જઇને પોલીસે મોડી રાત્રે ધરપકડ કરીને સરઘસ કાઢી જેલ હવાલે કરેલ હતી. જે આખો બનાવ ભાજપના સામાન્ય કેસમાં તપાસ કર્યા વગર પોલીસે આટલી શરમજનક કામગીરી કરી છે તેની સામે કોનો દોરીસંચાર છે તેની તટસ્થ તપાસ થવી જોઇએ. કોઇપણ સમાજની બહેન-દિકરી સામે આવો બનાવ ન બને તે માટે સરકારે પણ જાગૃતતા કેળવવાની જરૂર છે.
ભાજપના નેતાઓ કોંગ્રેસે સરદાર વલ્લભભાઇ પટેલને અન્યાય કર્યાની વાતો કરે છે. અમદાવાદ, સ્ટેડીયમમાંથી સરદારનું નામ દુ઼ર કરવામાં આવ્યું. કેશુબાપાને બે વખત મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા. આનંદીબેન પટેલની જગ્યાએ નિતીનભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા નહીં. તેમજ પાટીદાર આંદોલન વખતે પટેલ સમાજના ૧ર યુવાનોને ગોળીઓ દેવામાં આવ્યા, નિર્દોષ બહેન દિકરીઓને ઘરમાં જઇ બેફામ ગાળો દઇ અશોભનીય વર્તન કર્યું તેની તપાસ કરવામાં આવેલ નથી તેમ ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.
તમામ વર્ગના લોકો સરકારના વહીવટી તંત્રની કામગીરીથી હેરાનગતી ભોગવી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં દરેક સમાજના આગેવાનો સોશ્યલ મિડીયા, પત્રકારો, અખબારો તથા વિરોધપક્ષના આગેવાનોએ જાગૃત અને સંગઠીત થઇ અન્યાયકર્તા નિર્ણયો સામે (લડત આપવા) મનોમંથન કરવાની જરૂર છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે.