વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં રાજકોટ શહેરમાં ચાર ડીસીપી સહિત 1500થી વધુ પોલીસ સુરક્ષા માટે તૈનાત
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધીમાં કેન્દ્ર અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ રાજકોટ આવ્યા હોય પોલીસે પણ તેમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે. રાજકોટના ચાર ડીસીપી ઉપરાંત જિલ્લામાંથી વધારાના આઠ ડીવાયએસપી અને 10 પીઆઈ સાથે સ્થાનિક પોલીસ સહિત 1500થી વધુ પોલીસને તૈનાત રાખવામાં આવ્યો છે. રાજકોટમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. અંતિમ યાત્રાના રૂટ ઉપર પોલીસે અંતિમ યાત્રામાં જોડાનાર વાહનો અને સરકારી વાહનો સિવાય તમામ વાહનો માટે પ્રવેશબંધી અને નોપાર્કીંગ જાહેર કર્યુ હતું.
રાજકોટમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિમાં હાજરી આપનાર કેન્દ્ર અને ગુજરાતના રાજ્યકીય અગ્રણીઓની ઉપસ્થિતિને લઈને પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા સાથે ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી સજ્જનસિંહ પરમાર તેમજ ડીસીપી ટ્રાફીક પૂજા યાદવના નિરીક્ષણ હેઠળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઉપરાંત રાજકોટ જિલ્લામાંથી પણ આઠ ડીવાયએસપી અને 10 પીઆઈ સહિતનો વધારાની પોલીસ બંદોબસ્ત માટે મંગાવવામાં આવી હતી. રાજકોટ શહેર અને જિલ્લાની પોલીસ સહિત 1500થી વધુ પોલીસને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા હતાં. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આખરી વિદાય આપવા માટે ગુજરાતભરનાં અગ્રણીઓ પણ રાજકોટ આવ્યા હોય જેને લઈને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. શહેરના વિવિધ રસ્તાઓ ઉપર પણ સુરક્ષા માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસને તૈનાત રાખવામાં આવી હતી.