હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દાઉદી વ્હોરા સમાજમાં ઇસ્લામ ધર્મમાં દાન, દયા અને ઈબાદતથી ઓપતો અતિ પવિત્ર લેખાતો પાક રમઝાન માસનો આગામી તા.28 ફેબ્રુઆરી 2025 ને શુક્રવારથી મિસરી કેલેન્ડર મુજબ પ્રારંભ થઇ રહયો છે ત્યારે આ માસમાં વ્હોરા બિરાદરો સવારે સૂર્યોદયથી લઈ સાંજે સૂર્યાસ્ત સુધી એક પણ અન્નનો દાણો અને પાણીનું એક ટીપું ગળે ઉતાર્યા વગર અંદાજે 13 કલાક જેટલો સમય ભુખ્યા તરસ્યા રહી એક માસ સુધી રોઝા પાળશે.
ખાસ કરીને આ માસમાં જે લોકો શ્રીમંત છે તેમને દાન ફરજિયાત હોવાથી તેઓ ગરીબો અને જરૂરીયાતોમંદોને મદદ કરી અલ્લાહની સરાહના કરશે આ અંગે રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, જસદણ, પાલિતાણા તળાજા, મહુવા, જેસર, સાવરકુંડલા, કુતિયાણા, વેરાવળ, શિહોર, બરવાળા, લખતર, ધાંગધ્રા, ઘોઘા, વિંછીયા, સરધાર,પડધરી, ગોંડલ, જેતપુર, વિસાવદર, ધોરાજી, ધારી, ચલાળા,વંથલી, બાબરા, ચિત્તલ, કોટડાસાંગાણી, ધ્રોળ, જામખંભાળિયા, મીઠાપુર, જસદણ સહિતના ગામોની તમામ વ્હોરા મસ્જિદો નમાઝીઓથી ગુંજી ઉઠશે.
શુક્રવારે પ્રથમ રોઝુ હોય ત્યારે સૌરાષ્ટ્રના પ્રત્યેક વ્હોરા બિરાદરો રોઝા નમાઝ ઝકાત જેવા અનેક ઇસ્લામી નેકકાર્યોમાં સામેલ થઇ સળંગ એક માસ સુધી અલ્લાહમય બની જશે.
દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ(સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ(ત.ઉ.શ.) આ વર્ષે રમઝાન માસમાં મુંબઈ અને ખંડાલા તેમનો મુકામ રાખવાના હોય એમ જાણવા મળે છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ત્યાં પહોંચી તેમનાં સાનિઘ્યમાં અલ્લાહની બંદગી કરશે એમ પણ જાણવા મળે છે.
આ દિવસો દરમિયાન વ્હોરા બિરાદરો રમઝાનમાસમાં અલ્લાહમય બની પોતાની ઇસ્લામી ફરજ અદા કરશે રાજકોટમાં છ મસ્જિદો અને નાના મોટા હોલ સહિત ૧૫ જગ્યાએ નમાઝ થશે આ અંગે આખરી ઓપ અપાઈ ચુક્યો છે રમઝાન માસના આગમનને હવે ટૂંકા દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ અંગે બિરાદરોમાં રૂહાની થનગનાટ પ્રવર્તી રહ્યો છે.