શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળાના માર્ગદર્શન હેઠળ શ્રી સાળંગપુર ધામમાં દાદાના પ્રાંગણમાં દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો આ 14 માર્ચે એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે.
આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. જે બાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરાશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરાશે. આ ઓર્ગેનિક સપ્ત ધનુષના રંગો ડાયરેક્ટ ઉદયપુરની ફેક્ટરીમાંથી મંગાવ્યા છે.
ગુજરાતના સૌથી મોટા રંગોત્સવના આકર્ષણ
મંદિર પરિસરમાં કલરના 70 થી 80 ફૂટ ઊંચા 500 બ્લાસ્ટ કરાશે, 10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઊડાડવામાં આવશે, 100 જેટલા રિબિન બ્લાસ્ટ કરવામાં આવશે, ભક્તો દાદાના રંગે રંગાયા બાદ રાસ-ગરબાની રમઝટ બોલાવશે, 50 નાસિક ઢોલના સથવારે રંગોત્સવ ઉજવાશે, 11થી વધુ દેશના ભક્તો રંગોત્સવમાં ભાગ લેવા આવશે.
જીવનનો અલૌકિક લ્હાવો હશે,ભક્તિના રંગે રંગાવાનો
દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ કિલ્લોલ કરશે. મહત્વનું છે કે,સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનારા ગુજરાતના સૌથી મોટા રંગોત્સવમાં 11 થી વધુ દેશ સહિત ગુજરાત અને અન્ય રાજ્યના લાખો ભક્તો આવશે. આ માટે મંદિરના સંતો અને ભક્તો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તો પ.પૂ.શ્રી શા.હરિપ્રકાશદાસજી સ્વામીના સાંનિધ્યમાં અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિત સંતો અને દેશ દુનિયાથી પધારેલા હજારોની સંખ્યામાં આવેલા ભક્તો એક સાથે દાદાના રંગે રંગાશે. > કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી