વિજયભાઈના નિધન પર રાજકોટ સહિત ગુજરાતમાં ઘેર શોકની લાગણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા શ્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન અકસ્માતમાં થયેલા નિધનથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ છે. જસદણના પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરાએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમના કાર્યોને અવિસ્મરણીય ગણાવ્યા.
ડૉ. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે, વિજયભાઈ રૂપાણીની ભાજપના નિષ્ઠાવાન કાર્યકરથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી સુધીની સેવાયાત્રા રાજકોટ સહિત ગુજરાત હંમેશાં યાદ રાખશે. તેમની કુશળ નેતૃત્વ ક્ષમતા અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ અદ્ભુત હતી."
વિજયભાઈ રૂપાણીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટમાં ભાજપના કાર્યકર તરીકે કરી હતી. ૧૯૮૭માં તેઓ પ્રથમવાર રાજકોટ મહાનગરપાલિકામાં નગરસેવક બન્યા, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર તરીકે સેવા આપી. તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાન તરીકે પણ અમદાવાદ અને ગુજરાતમાં મહત્વનું યોગદાન આપ્યું. રાજ્યસભાના સાંસદ, ગુજરાત ભાજપના મહામંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી તરીકે તેમણે દરેક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી.
કોરોના મહામારી દરમિયાન મુખ્યમંત્રી તરીકે વિજયભાઈએ ગુજરાતને આરોગ્ય કવચ પૂરું પાડ્યું હતું. તેમના નેતૃત્વમાં રાજ્યએ આ કપરા સમયમાં અસરકારક વ્યવસ્થાપન હાંસલ કર્યું. બાદમાં પંજાબ ભાજપના પ્રભારી તરીકે તેમણે પાર્ટીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. બે દિવસ પૂર્વે પંજાબનો પ્રવાસ પૂર્ણ કરી ગાંધીનગર પરત ફર્યા બાદ આ દુઃખદ અકસ્માત થયો.
ડૉ. ભરતભાઈ બોઘરાએ વિજયભાઈની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને શિસ્તબદ્ધ સૈનિક તરીકેના ગુણોની પ્રશંસા કરી, તેમને એક આદર્શ કાર્યકર તરીકે યાદ કર્યા.
Tags:
News