જસદણમાં ઘરકંકાસથી કંટાળીને એક વેપારીએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાથી પરિવાર અને પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જસદણના ખાનપર રોડ પર વૃંદાવન રેસિડેન્સીમાં રહેતા 60 વર્ષીય બચુભાઈ નાથાભાઈ ભલસોડ આદમજી રોડ પર ચામુંડા કટપીસ નામની દુકાન ધરાવતા હતા.
છેલ્લા કેટલાક સમયથી તેઓ પારિવારિક વિખવાદથી પરેશાન હોવાનું કહેવાય છે.બપોરના સમયે બચુભાઈએ પોતાના ઘર નજીક આવેલા સાર્વજનિક પ્લોટમાં લીમડાના ઝાડ સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો, પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બચુભાઈ ભલસોડને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. ઘરના મોભીના આઘાતજનક નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. મોભીની અચાનક વિદાયથી પરિવાર સ્તબ્ધ બની ગયો હતો..