હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યભરમાં કોવિડ-૧૯ ના ૧૮૫ નવા કેસ નોંધાયા છે, જેણે કુલ સક્રિય કેસનો આંકડો ૯૮૦ પર પહોંચાડી દીધો છે. હાલની સ્થિતિએ, કોરોના સંક્રમિત ૩૨ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યારે ૯૪૮ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
રાહતની વાત એ છે કે, આજે રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિના મૃત્યુના સમાચાર નથી, જ્યારે સારવાર બાદ ૨૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા સાવચેતી રાખવા અપીલ:
કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જનતાને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરી છે. રાજ્ય સરકારે સૂચનો કર્યા છે કે, ભીડવાળા વિસ્તારોમાં માસ્ક અવશ્ય પહેરવો જોઈએ, લોકો સાથે સામાજિક અંતર જાળવીને વાતચીત કરવી, અને કોવિડથી બચવા માટે સરકાર દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે.
કોરોનાની લહેરથી બચવા માર્ગદર્શિકાનું પાલન કરવું અનિવાર્ય:
આરોગ્ય વિભાગ દ્વારા જનતાને નીચે મુજબની કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર (કોવિડ યોગ્ય વર્તન) ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે:
હોમ આઈસોલેશનમાં રહેલી વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ ચાલુ રાખવું અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અથવા અન્ય કોઈ ગંભીર લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવો.
ખાંસી કે છીંક ખાતી વખતે નાક અને મોં ઢાંકવા.
જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળવું.
અવારનવાર સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવો.
* જે વ્યક્તિઓ કો-મોર્બીડ કંડિશન (અન્ય રોગો) ધરાવે છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેમણે ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવો.
આરોગ્ય નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં વૃદ્ધિ (રાઇઝિંગ ટ્રેન્ડ) આવતો હોય છે, તેથી ગભરાવાની જરૂર નથી. મહત્વનું એ છે કે, "સાવચેતી સાથે સમજદારી" દાખવીને વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
Tags:
News