60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. જોકે, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60થી વધુ વય હશે અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટનારાને ટિકિટ નહી મળે. ભાજપે નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવા નક્કી કર્યુ છે.
ગુજરાતમાં હાલ 66 પૈકી 42 પાલિકા પર ભાજપનો કબજો છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યાં પછી પાલિકા-પંચાયત પર પણ રાજકીય દબદબો કાયમ રાખવા ભાજપે અત્યારથી કમર કસી છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મૂરતિાઓની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. છેલ્લાં બે દિવસમાં દાવેદારોને મળીને સેન્સ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. નિરીક્ષકો દાવેદારોના નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાઓને સોંપી દેશે.
સૂત્રોના મતે, આગામી 29-30મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે જેમાં ઉમેદવારાના નામો પર મહોર મારવામાં આવશે. તા.1લી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે જોતાં 31મીએ ભાજપ ઉમેદવારોના નામોની ઘોષણા કરે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે.ફેબ્રુઆરીનો માસ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે કેમકે, 16મી ફેબ્રુઆરી પાલિકા-પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે 18મીએ ચૂંટણી પરિણામો જાહેર થશે.