જસદણના શિવરાજપુર ગામે પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. તેણીએ લગ્નના 10 જ મહિનાના ટૂંકા ગાળામાં જ આ પગલું ભરી લેતાં તેના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.જો કે પરિણીતાએ આવું ઘાતક પગલું શા માટે ભરી લીધું એ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના શિવરાજપુર ગામમાં રહેતાં હિરલબેન કિશનભાઈ સરીયા (ઉ.વ.21) નામની પરિણીતાએ રાત્રિના પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તાકીદે તેણીને જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવારમાં તેણીએ દમ તોડી દીધો હતો. મૃતક હિરલબેનને લગ્નના હજુ 10 મહિના જ થયાં હતાં અને તેણી એક ભાઈ અને ચાર બહેનમાં ત્રીજા નંબરના હતાં. તેમનું માવતર જસદણનું ફુલઝર ગામ છે. તેણીના આપઘાતનું કારણ જાણવા જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, જસદણના કોઠી ગામે રહેતી એક પરિણીતાએ એકાદ મહિના પહેલા જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને તે ઘટનામાં જસદણ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવાના બદલે માત્ર એ.ડી.નો ગુનો નોંધી હાશકારો અનુભવી લેવામાં આવ્યો હતો. ત્યારે જસદણના શિવરાજપુર ગામે બનેલા આ આપઘાતના બનાવમાં જસદણ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઈ છે.