હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિર આગામી ૨૦મીએ જસદણના ઘેલા સોમનાથ ખાતે યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાના વિકાસ અંગેનું ચિંતન કરવામાં આવશે. તેમજ જિલ્લાના પ્રવાસન સ્થળો કઈ રીતે વેગ આપવો, પ્રવાસન સ્થળો પર સાફ-સફાઈ,નવા પ્રવાસન સ્થળનો ઉમેરો, ગ્રામ્ય વિસ્તાર વિકાસ કઈ રીતે વધારવો અને તાલુકા વિસ્તારોમાં વિકાસ કક્ષાએ પ્રાથમિક સુવિધાઓ સ્વચ્છતા સહિતની મુદ્દા ઉપર ચિંતન કરવામાં આવશે. તાલુકાઓના વિસ્તારોમાં બની રહેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સોની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સહિતની ચર્ચાઓ આ ચિંતન શિબિરમાં કરવામાં આવશે. આ ચિંતન શિબિરમાં નાયબ મામલતદાર, TDO, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના ૬૦ થી વધુ અધિકારીઓ ફરજીયાત રહેવા આદેશો કરાયા છે.
આગામી ૨૦ મી ને શુક્રવારના રોજ ઘેલા સોમનાથના ખાતે રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શીબીરમાં અરજદારો કઈ રીતે સહેલાઈથી તેઓની કામગીરી પૂર્ણ કરી શકે, કચેરી ખાતે અરજદારો સાથે કેવો વ્યવહાર કરવો, તેમજ જિલ્લાના અધિકારીઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારની યોજનાઓ સહિતના વિવિધ વિકાસના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
તેમજ રાજકોટ જિલ્લાના પ્રવાસન સ્થળો વિકસાવવા હાલ તાલુકા વિસ્તારોમાં પ્રવાસન સ્થળોની શું સ્થિતિ છે તે અંગેની પણ માહિતી મેળવવામાં આવશે. સાથે જ તાલુકામાં તૈયાર થઇ રહેલા ૧૧ જેટલા સપોર્ટસ કોમ્પ્લેક્ષ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે.